શબ્દ-અવતાર
પૂર્ણમાંથી અંશ અવતારી થયો,
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.
'તું' થઈને શુદ્ધ શૃંગારી થયો,
'હું' થઈ અવધૂત અલગારી થયો.
કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એજ ઉદ્ગારી થયો.
મુક્ત સ્વચ્છાએ જ બંધાયો સ્વમાં,
સ્થિર મટીને કેવો સંચારી થયો !
તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઈને પૂજારી થયો !
રાજેન્દ્ર શુક્લ.
27 જાન્યુઆરી, 1978.
(ગઝલ સંહિતા, મંડલ 1, પૃ. 11)
*for previous posts click here
|